વલસાડ: વલસાડ શહેર તેમજ આસપાસના  ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જિલ્લાના વલસાડ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જો કે બપોર બાદ વલસાડ શહેર અને આસપાસના ગામોમાં કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. 


આમ ફરી એક વખત વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વલસાડ જિલ્લામાં બદલાયેલા વાતાવરણ અને વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે.  


અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ? 


રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આગામી બે દિવસ સુધી ગુજરાતમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી જિલ્લામાં અને  જૂનાગઢ જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 


પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે વરસાદ વરસી શકે છે. બે દિવસ સુધી આ વાતાવરણના કારણે  બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ડિસેમ્બર મહિનામાં તાપમાન 20 ડિગ્રી આસપાસ અથવા તેનાથી નીચું રહેશે.  ગઇકાલે 13 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.   અમદાવાદ શહેરમાં શુક્રવારે તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું.  


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે.  આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે.


ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તાર બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, ચક્રવાત મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે.