હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજથી રવિવાર સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે આગામી ગુરૂવારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તો રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે 17 અને 19 જુનના રોજ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20-21 જુનથી વરસાદનું પ્રભુત્વ વધશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


અમદાવાદ શહેરમાં બુધવારે બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતે અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બુધવારે રાતના આઠથી દસ વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.


શહેરમાં મેમ્કો વિસ્તારમાં સૌથી વધુ બે કલાકમાં ત્રણ ઈંચ અને નરોડા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતા. આવી જ હાલત શહેરના અન્ય વિસ્તારોની થઈ હતી. બે કલાક વરસેલા વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.


ચકુડીયા, ઓઢવ, વિરાટનગર, નિકોલ, સરખેજ, કોતરપુર, મણીનગર, વટવામાં પોણા બેથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.


ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. બોપલ, ઘુમા, શિલજ, રાણીપ, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા મહાનગર પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. બુધવારે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં એયરપોર્ટ પર પણ ભારે નુકસાન થયું હતું.


ભારે પવનને લીધે પાંચ એયરક્રાફ્ટના વિંગ્સ તૂટી ગયા હતા. જેમાંથી ત્રણ ઈંડિગો અને બે ગો એયરના વિમાનને નુકસાન થયુ છે. ભારે પવનને લીધે વિમાનમાં ચઢવાની સીડી પણ એયરક્રાફ્ટ સાથે અથડાતા મોટુ નુકસાન થયુ છે.


અમદાવાદ શહેરમાં વરસેલા થોડા જ વરસાદે મનપાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. બુધવારે પડેલા વરસાદના પાણી હજુ કેટલાય વિસ્તારમાં ઓસર્યા નથી. તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. માણેકબાગ વિસ્તારમાં મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. રોડ પર જ વૃક્ષ પડતા માર્ગ બ્લોક થયો છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


સવાલ તો તે છે કે ગયા મહિને જ તાઉતે વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં 2500 મોટા અને 6000 નાના વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમ છતાં મનપાએ કોઈ શીખ લીધી નથી અને ટ્રી સ્ટ્રીમિંગના દાવાઓની પોલ ખોલી હતી.