Rajasthan road accident: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, ધાનેરાના થાવર ગામના આ યાત્રાળુઓ પોતાની સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બાલોતરા જિલ્લાના આસોતરા નજીક ભારતમાલા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ એક નીલગાય રસ્તા પર દોડી આવી હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. સ્પીડમાં રહેલી સ્કોર્પિયો કાર રસ્તા પર જ ગોથા ખાઈને પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Continues below advertisement
Continues below advertisement

પોલીસ પહોંચી, ઘાયલોને જોધપુર રીફર કરાયા

ઘટનાની જાણ થતાં જ રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી રાહત બચાવ કામગીરી શરૂ કરીને તમામ 6 લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, કમનસીબે તેમાંથી 3 યુવાનોએ ત્યાં જ જીવ ગુમાવી દીધો હતો. બાકીના 3 ઘાયલોને શરૂઆતમાં બાલોતરાની નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર અર્થે જોધપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માતનો ભોગ બનેલા લોકોની વિગત:

મૃતકોના નામ:

અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ. 35)

હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉ.વ. 32)

યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ. 18)

આ પણ વાંચોઃ વલસાડના કુંભઘાટ પર કાળમુખો અકસ્માત: ટ્રક ઈકોની ટક્કરમાં 7 ના કરૂણ મોત, 2 ની હાલત નાજુક

ઈજાગ્રસ્તોના નામ:

અશોક ચૌધરી (ઉ.વ. 26)

કમલેશ ચૌધરી (ઉ.વ. 30)

આયુષ ચૌધરી (ઉ.વ. 8)

થાવર ગામના આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ સમગ્ર ગામ અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ભયાનક અકસ્માત: રોંગ સાઈડ આવતી ટ્રકે ઈનોવાને કચડી નાખી! 6 નાં મોત અને 3 ગંભીર