ગુજરાતમાં ભાજપના ક્યા ધારાસભ્યનો ફોન સ્વિચ-ઓફ થઈ જતાં ભાજપના નેતા દોડતા થઈ ગયા? કોંગ્રેસ સાથે જશે તેવા મેસેજ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Mar 2020 10:21 AM (IST)
ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણીના કારણે કોંગ્રેસમાં તણાવનો માહોલ છે ત્યારે હવે ભાજપમાં પણ ચિંતા શરૂ થઈ છે
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણીના કારણે કોંગ્રેસમાં તણાવનો માહોલ છે ત્યારે હવે ભાજપમાં પણ ચિંતા શરૂ થઈ છે તેવો દાવો ટોચના એક ગુજરાતી અખબારના અહેવાલમાં કરાયો છે. આ અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે, ભાજપનાં ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી ભાજપના નેતા ચિંતામાં પડી ગયા છે. રાઉલજી ભાજપના ઉમેદવારને મત નહીં આપે અને ક્રોસ વોટિંગ કરશે તેવા મેસેજ વાયરલ થયા છે. સી.કે.રાઉલજી શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાય છે. શંકરસિંહ વાઘેલાએ રાજ્યસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરવાની જાહેરાત કરી છે. એક ટોચના અખબારમાં પણ એવા અહેવાલ છપાયા છે કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પરંતુ પ્રદાનપદ મળવા સહિતની માગણીઓ ન સંતોષાતાં નારાજ થયેલા સી.કે.રાઉલજીને શંકરસિંહ વાઘેલાના માધ્યમથી તોડવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસને સફળતા મળતી હોવાનો નિર્દેશ મળતા કોંગ્રેસના મોવડી મંડળનો જુસ્સો વધ્યો હતો અને તેમણે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો તેવો દાવો પણ કરાયો છે. રાઉલજીનો ફોન સ્વીચ-ઓફ આવતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે અને રાઉલજીનો સંપર્ક કરવા માટે ભાજપમાં દોડધામ મચી છે એવો દાવો પણ કરાયો છે.