ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ બે ઉમેદવારો ઉભા રાખશે કે એક ઉમેદવાર પાસે ઉમેદવારી પાછી ખેંચાવશે એ અવઢવનો અંત આવી ગયો છે. લાંબા મનોમંથન પછી કોંગ્રેસે પોતાના બંને ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.


મંગળવારે મોડી રાત્રે કોંગ્રેસ મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણયને કારણે આજે એટલે કે બુધવારે શક્તિસિંહ કે ભરતસિંહ બંનેમાંથી કોઈ ઉમેદવારી પાછી નહીં ખેંચે.

કોંગ્રેસે સત્તાવાર રીતે આ જાહેરાત કરી નથી પણ કોઈને ઉમેદવારી પાછી નહીં ખેંચવાનું કહેવાયું નથી તેથી કોંગ્રેસ બંને બેઠકો લડશે એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં હવે 26 માર્ચે ચૂંટણી યોજાશે એ નક્કી થઈ ગયું છે.