ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા બિલ રજૂ થયા બાદ ચર્ચા કરવામાં આવી હતી. સતત 8 કલાકની ચર્ચા બાદ બિલ પસાર કરાયું છે. અને હવે બિલને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. મહત્વપૂ્ર્ણ છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્રતા સુધારા બિલ પસાર થતા લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લાગશે. ત્યારે બહુમતિથી પસાર થયેલા બિલમાં કડક જોગવાઇ કરવામાં આવી છે.



ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદો પસાર થયો છે.  સમાજના વિવિધ અગ્રણીય સંસ્થાઓ દ્વારા મળેલી ફરિયાદોના આધારે સુધારા વિધેયક રજૂ કરાયું હતું. હવે રાજ્યમાં હિન્દુ સહિતની દીકરીઓ સલામતીની લાગણી અનુભવશે. લવજેહાદ સામે લડવા અમે વર્ષોથી કાર્ય કરી રહ્યા છીએ. હાથે નાડાછડી અને કપાળે ટીલક કરી દીકરીઓ સાથે છળકપટ કરે છે. આજે થતું ધર્માંતરણ આવતી કાલનું રાષ્ટ્રાંતરણ  છે. હવે કોઈ લગ્ન કરે કે કરાવડાવે તો 5 વર્ષની સજા અને રૂ. 2 લાખનો દંડ કરાશે. 



ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, કોઈપણ સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો તેના આગેવાન કે ઇન્ચાર્જને 3થી10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે. પહેલા ગાયોને અને હવે દીકરીઓને બચાવવા કાયદો લાવ્યા છીએ. કોંગ્રેસે વિરોધ કર્યો કેમકે કોઈ ચોક્કસ સમાજ નારાજ થાય અને મત ન મળે માટે. કોઈપણ પ્રેમને છળ કપટથી થતા લગ્નને લવજેહાદ કહેવામાં આવે છે. 


ગુજરાત વિધાનસભામા વર્ષ 2003ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમા સુધારા વિધેયક રજૂ કરતા પ્રદીપસિંહ જાડેજા એક કલાક કરતા વધારે સમય બોલ્યા હતા. આવા કાયદાઓ વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમા અસ્તિત્વ ધરાવતા હોવાનુ પણ તેમણે કહ્યુ છે.


ધર્મ પરિવર્તન કરાવવા માટે પાંચ વર્ષ સુધીની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ હશે. કિશોર છોકરીના કેસમાં સાત વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ હશે, ગુજરાતમાં 2003 માં ગુજરાત ફ્રીડમ ઓફ રિલીઝન એક્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં 2006 માં પહેલીવાર ફેરફાર કરવામાં આવ્યો હતો.