અમદાવાદ: સમગ્ર દેશમાં સોમવારથી અનલોક 2નો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને એસ.ટી.નિગમની તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ માટે નિગમના તમામ 16 વિભાગના નિયામકોને પરિપત્ર પાઠવીને તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપી દેવાઇ છે. જો કે હાલમાં આંતરરાજ્ય બસ સેવા બંધ રખાશે. મતલબ કે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની બસો ચાલુ નહીં થાય. બીજા રાજ્યોનાં એસ.ટી. નિગમોની બસ પણ શરૂ નહીં થાય.


કોરોના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર કરાયું તે પહેલાં એટલે કે 22 માર્ચથી એસ.ટી.બસ સેવા બંધ કરાઇ હતી. એ પછી 20 મેથી હંગામી ધોરણે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી ફક્ત ઝોન વાઇસ બસ સેવા ચાલુ કરાઇ હતી. ત્યારબાદ અનલોક 1માં થોડી વધુ છૂટછાટ મળતા 1 જુનથી રાજ્યભરમાં કન્ટેન્મેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરી દેવામાં આવી હતી.



હવે અનલોક 2માં રાત્રિ દરમિયાન એક્સપ્રેસ બસ સેવા પણ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે પણ બીજાં રાજ્યો માટેની બસ સેવા ચાલુ નહીં થાય. રાજ્યમાં આવતીકાલ એટલે કે 1 જુલાઇથી 2000 એક્સપ્રેસ બસો દોડતી થઇ જશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.