પાટણઃ પાટણમાં સગી બહેને જ મહિના અગાઉ તેના ભાઈને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ 30 મેએ તેની 14 માસની માસૂમ પુત્રીને પણ ઠંડા કલેજે ઝેર આપી મોતને ઘાત ઉતારી હતી. પુત્રીએ આ સમગ્ર ઘટનાની કુટુંબીઓ પાસે કબૂલાત કર્યાંની ચોંકવનારી રજૂઆત પિતાએ પોલીસને કહી હતી. જેને પગલે પોલીસે પુરાવા ભેગા કરવા સ્મશાનમાં દાટેલી 14 માસની માસૂમના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે.

સિદ્ધપુર તાલુકાના કલાણા ગામના મૂળ વતની અને અમદાવાદ ખાતે સ્ટીલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઈ બબલદાસ પટેલના પુત્ર જીગરને છ મહિના અગાઉ આંખે નજીકનું દેખાતું ન હોવાથી અને ગળું સુકાતું હોઈ શરીર ધ્રુજતું હોવાથી અમદાવાદની મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી.  જોકે ગત 4 મેના રોજ તેમનો પરિવાર પાટણમાં શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા તેમના ભાઈ પ્રવીણભાઈના ઘરે રોકાયો હતો અને 5 મેના રોજ કલ્યાણા ગામે કુળદેવીનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં જીગરની તબિયત લથડતાં પાટણની સદભાવ હોસ્પિટલમાં લાવતાં તે મૃત જણાયો હતો.

ત્યાર બાદ તેમનો પરિવાર વિધિ માટે પાટણ રોકાયેલો હતો ત્યારે 30 મેના રોજ મૃતક જીગરની પત્ની ભૂમિબેનને તકલીફ થતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યારે તેની દીકરી 14 માસની માહી ઘોડિયામાં સૂતેલી હતી ત્યારે ખેંચ આવતાં ખાનગી દવાખાને લઈ જતાં મૃત્યુ થયું હતું. જેની માતરવાડી સ્મશાનભૂમિમાં દફનવિધિ કરાઇ હતી.

આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં હતો, પરંતુ નરેન્દ્રભાઈની નાની દીકરી કિન્નરી તેણે બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે તેને ભાઇ અને ભત્રીજીના મોત અંગે કોઈ અફસોસ કે દુઃખ ન હોઈ તેના વર્તન પર શંકા જતાં કુટુંબીજનોએ બહેન, બનેવી, ભત્રીજા સૌ કોઈએ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણીએ જીગર અને માહીને કોઈ ઝેરી પદાર્થ પીવડાવ્યો હોવાની હા પાડી હતી.

જોકે આ કરવા પાછળનું કારણ તેણે જણાવ્યું નથી તેવી લેખિત રજૂઆત બી ડિવિઝન પોલીસ મથકે નરેન્દ્રભાઈએ કરતાં પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી ઊંડાણ પૂર્વકની તપાસ માટે મૃતક બાળકીની લાશને ફોરેન્સિક PM માટે અમદાવાદ લઈ જવાઈ હતી.