કોરોનાનું સંક્રમણ ઘટતા આજથી કોરોનાના નિયમોને આધિન વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આજથી ધાર્મિક સ્થળો, બાગ બગીચા, જીમ અને રેસ્ટોરંટ નિયમોને આધિન ખુલશે. બાગ બગીચા, જીમમાં 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. તો કેટલાક ધાર્મિક સ્થળો પર પણ કોરોનાની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે.


અમદાવાદ શહેરમાં 283 બગીચાઓ ખુલશે. બાગ બગીચા સવારના છથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તો સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિર પણ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલુ રહેશે. જો કે ધ્વજારોહણ કાર્યક્રમમાં હજુ પણ માત્ર 50 જ લોકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં આવી શકે છે. સાથે જ મંદિર પરિસરમાં ખાસ માસ્ક તેમજ સોશલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.


તો આ તરફ દેવભૂમિ દ્વારકાનું જગત મંદિર પણ આજથી ભક્તો માટે કોરોનાની ગાઈડલાઈંસ સાથે ખુલશે. ઉત્તર ગુજરાતનું ધાર્મિક સ્થળ બહુચરાજી મંદિર અને ઊંઝાનું ઉમિયા મંદિર પમ આજથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવશે.



  • રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે.

  • ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે

  • રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે ૯ થી તારીખ ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે

  • તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે

  • વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.

  • જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

  • રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS-TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે

  • રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે

  • રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

  • શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.