ધો 10માં માસ પ્રમોશન બાદ માર્કશીટ ક્યારે મળશે અને ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેની મુંઝવણ વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ દિનેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. એક સપ્તાહમાં સરકાર તમામ માસ પ્રમોશન થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડી દેશે. સાથે જ ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેને લઈને પણ સપ્તાહના અંતમાં નિર્ણય લેવાઈ જશે. જો કે સત્તાવાર જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા કરશે.


ધોરણ 10માં સરકારે બોર્ડ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ ધોરણ 10નું પરિણામ કઈ રીતે આપવુ અને કઈ રીતે માર્કશીટ તૈયાર કરવી તે અંગે મોટી મુશ્કેલી છે. ત્યારે આ મુદ્દે સરકારે રચેલી તજજ્ઞોની કમિટીની હજુ સુધી એક જ બેઠક મળી છે. પોલિસી ક્યારે જાહેર થશે તે હજુ નક્કી નથી. ત્યારે આ વર્ષે ધોરણ 11ના પ્રવેશને લઈને સ્કૂલો મુંઝવણમાં છે.


હોશિયાર વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં અન્યાય તો નહી થાયને અને સારી સ્કૂલોમાં જે સ્કૂલ સિવાયની અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ તો મળશે કે કેમ તે એક મોટી મૂંઝવણ છે. ધોરણ 10માં આઠ લાખ 37 હજાર જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા સરકારે કોરોનાને લીધે રદ કરી દીધી છે અને આ વિદ્યાર્થીઓને આ વર્ષએ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ સ્કૂલો ચાલી જ નથી અને ઓનલાઈન શિક્ષણ સાથે આઠ શહેરોમાં પ્રથમ પરીક્ષા પણ યોગ્ય રીતે થઈ નથી. ત્યારે કંઈ રીતે પરિણામ આપવુ તે મોટો પ્રશ્ન છે.


પરિણામ માટે ધોરણ 10ના ક્યા માપદંડો ગણવા. ધોરણ આઠ કે નવના પરિણામને માપદંડ ગણવા કે નહી તે સહિતના અનેક પ્રશ્નો છે. આ મુદ્દે સરકારે તજજ્ઞોની કમિટી તો રચી દીધી છે. પરંતુ હજુ સુધી માસ પ્રમોશન પોલિસી નક્કી થઈ શકી નથી. કમિટીની એક બેઠક મળી ગઈ છે અને હજુ બીજી બેઠળ મળવાની છે. ત્યાર બાદ કમિટી સૂચનો સાથેનો પોલિસી ડ્રાફ્ટ રિપોર્ટ સરકારને સોંપશે. અને ત્યાર બાદ સરકાર ધોરણ દસના પરિણામ માટેના નિયમો જાહેર કરશે. ત્યારબાદ ધોરણ દસના આઠ લાખ 37 હજાર વિદ્યાર્થીઓની માર્કશીટ પ્રિંટ થશે. અને સ્કૂલોમાં વિતરણ થશે.