સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના પોઝિટિવ આવતાં સુરતમાં ખળભળાટ મચ્યો છે. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રામાં તેમની સાથે જોડાયેલા સુરતના ત્રણ ધારાસભ્ય અને એક માજી ધારાસભ્ય કોરોના પોઝીટીવ થતાં તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ કોરોનાનો ચેપ લાગવાનો ડર લાગ્યો છે.


પાટીલની સૌરાષ્ટ્રની યાત્રામાં જોડાયેલા સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલર અને કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત કામરેજના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરીયા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ ચારેય ધારાસભ્યો કોરોના મુક્ત થાય તે પહેલાં જ પ્રદેશ પ્રમુખ પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. પાટીલ પોઝીટીવ આવતાં તેમની નજીક રહેતાં લોકોનું ટેન્શન વધી રહ્યું છે.

પાટીલને હાલમાં અમદાવાદ ખાતે એપોલો હોસ્પિટલમાં રખાયા છે. પાંચ દિવસ એપોલો હોસ્પિટલમાં રહ્યા પછી પાટીલ 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન રહેશે એ જોતાં હમણાં પાટીલના કોઈ કાર્યક્રમો નહીં થાય.