સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના રોકાવનું નામ લેતો જ નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમવાર રાતે 8 વાગ્યાથી લઈને આજે સવાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 49 પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. સતત વધી રહેલા કોરોના કેસને લઈ સુરેન્દ્રનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.


કોરોનાને કાબૂમાં લેવા માટે સુરેન્દ્રનગર કલેક્ટર એક જાહેરનામું બહાર પાડ્યું છે. વઢવાણ ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલિકા વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સવારના સાત વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ખુલ્લા રાખી શકાશે. ચાર વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે.

આ ઉપરાંત પાનના ગલ્લા અને નાના દુકાનદારો માત્ર પાર્સલ સુવિધા જ કરી શકશે. આ સાથે જ બેથી વધુ વ્યક્તિઓ દુકાન પર ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જોકે દૂધ, શાકભાજી અને દવાઓ સહિતના આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરેન્દ્રનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જે આગામી 31 જુલાઈ સુધી લાગુ પડશે. આ ઉપરાંત જિલ્લાના સાયલામાં સ્વૈચ્છિક ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મૂળી તાલુકાના સરા ગામે રક્ષાબંધન સુધી બપોરના બે વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લા રાખશે.