સુરેન્દ્રનગરઃ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે થયેલા અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી અને 6 વર્ષની પૌત્રીનાં કરૂણ મોત થયાં હતાં. નેશનલ હાઈવે પર રોડનું  કામ ચાલુ હોવાથી રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હ જામ થઈ ગયો હતો. પાણશીણા પોલીસે કલાકોની મહેનત પછી ટ્રાફિક જામને દૂર કરી હાઈવે ફરીથી કાર્યરત કર્યો હતો.


અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બકુલભાઈનાં પત્નિ હિરાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં નિધન થયું હતું.


આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે  અમદાવાદના ઉદય મહેનત પૂરા આંબાવાડી છાપરામાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા, તેમનાં પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા. આ પરિવારનાં લોકો 13 નવેમ્બરે સાંજે રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડના કામને કારણે આપેલા ડાઈવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે તેમની કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે હિરાબેનને ગંભીર ઈજા પહોંચી હતી.


લીંબડી 108 હેલ્પલાઈનના પાયલોટ દેવરાજસિંહ વાઘેલા અને ઈએમટી અમૃત ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ હિરાબેનને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. હાજર ડૉક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા સૂચન કર્યું હતું. હિરાબેન અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તામા તેમણે પણ દમ તોડી દીધો હતો. 


અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેનું 6-લાઈનનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ કામની સમય મર્યાદા બહુ પહેલા પૂરી થઈ ગઈ હોવા છતાં રોડ નિર્માણ પૂરું થતું જ નથી.  સિક્સ લાઈન રોડનું નિર્માણ કરનાર કંપની કાચબાની ઝડપથી કામ કરી રહી હોય તેવી અનેક ફરિયાદો ઉઠી છે. રોડ પર આપેલા ડાઈવર્ઝન, ઉતાર-ચઢાવને કારણે અકસ્માતો સર્જાય છે.