ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણના કારણે ઘણા લાંબા સમયથી શાળા-કોલેજો બંધ છે. ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત  ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત સરકારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાના ઘટાડો કરાયો છે તો પરીક્ષા પદ્ધતિમાં પણ માટાપાયે ફેરફાર કરાયો છે. બોર્ડના નિર્ણય મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જે અગાઉ 20 ટકા હતું.

ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.