એક બાજુ તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. તો બીજી બાજુ ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. તેની સાથે જ રાજ્યમાં પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે. જેને લઈ પ્રશાસન હરકતાં આવ્યું છે અને રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે.


ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મુદ્દે કામગીરી કરી રહી છે. સૌથી વધુ લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે. જેને લઈ પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પાણી પુરી વેચતા 4 હજાર જેટલા વેપારીઓની તપાસ કરવામાં આવી હતી. અને આ તપાસમાં ચોંકાવનારી સામગ્રીઓ સામે આવી હતી.


એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમ બાદ ફૂડ એંડ ડ્રગ કંટ્રોલ વિભાગ હરકતમાં આવ્યુ છે. અને પાણીપુરીની લારીઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં 4 હજાર જેટલી પાણીપુરીની લારીઓ પર તપાસ કરી.


ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળતી હોય છે. પરંતુ આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થાય છે. ત્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 636 સેંપલ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયા. તો જે લારી પર મળી આવ્યો અખાદ્ય જથ્થો તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.


1500 કિલો બટાટા અને મસાલો, 1335 લીટર પાણી સહિત 90 હજારની કિંમતના જથ્થાનો નાશ કરાયો છે. મહત્વનું છે કે, ABP અસ્મિતાએ હું તો બોલીશ કાર્યક્રમમાં અખાદ્ય પાણીપુરીના વેચાણ પર અહેવાલ દર્શાવ્યો હતો. તે બાદ રાજ્યભરમાં આ કાર્યવાહી કરાઈ છે.


અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં


ચોમાસામાં મચ્છજન્ય રોગચાળાને નાથવા માટે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. મનપાની હેલ્થ વિભાગની ટીમે બુધવારે શહેરમાં અલગ અલગ કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 368 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં 282 જેટલી સાઈટને નોટિસ ફટકારી 6 લાખ 09 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.


અલગ અલગ 7 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવમાં આવી હતી. ગોતામાં આવેલી રેનિસનસ હોટલ, થલતેજ ગાલા એમ્પારીયા, રામોલની વિન્ડસર.લિ કંપની, સરખેજની ટોયેટા મોટર્સ, સાબરમતીના અક્ષર 11, કુબેરનગરની રવિ બેકરી સહિતની જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 282 સાઈટ પર મચ્છરોના બ્રિડિંગ મળી આવતા નોટીસ આપી 6 લાખથી વધુનો દંડ ફટકરવામાં આવ્યો હતો.