અમદાવાદઃ કોરોના મહામારીના પગલે છેલ્લા સાત મહિનાથી બંધ મલ્ટીપ્લેક્સ 15 ઓકટોબરથી શરૂ કરવા માટે કેંદ્ર સરકારે મંજૂરી આપી છે. ત્યારે કેંદ્ર તરફથી મલ્ટિપ્લેક્સ માટે એસઓપી જાહેર કરવામા આવી છે. આ બાદ હવે રાજ્ય સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી છે. જોકે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને જ અનુસરવાની વાત કહી છે.


ગાઈડલાઈન અનુસાર 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટી સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરી શકાશે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી છોડવાની રહેશે. ખાલી સીટ પર નોટ ટુ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે. હોલની અંદર જ પેક્જડ ફૂડની જ મંજૂરી આપવામા આવશે. આ સાથે જ સિનેમા હોલની અંદર યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે. એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવાનું રહેશે.

આ ઉપરાંત શો દરમિયાન કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવાની રહેશે. એક શો પુરો થયા પછી હોલને સેનેટાઈઝ કરવામાં આવશે, પછીથી લોકો આવીને બેસી શકશે. સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં ટિકિટ બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડશે. ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવા સૂચન કરવામા આવ્યું છે.