કોરોના સંક્રમણને લઈને રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દૈનિક કેસ 1 હજારથી ઓછા નોંધાવાના ક્રમ સતત સતત 10માં દિવસે યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 954 કેસ નોંધાયા છે. વધુ રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના એકપણ જિલ્લામાં કોરોનાના 200થી વધારે કેસ નોંધાયા નથી.


હવે અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના દૈનિક 200થી ઓછા કેસ નોંધાયા છે. સુરતમાં 125 દિવસ બાદ પ્રથમ વખત કોરોનાના 200થી ઓછા કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 198 તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.

સુરત કોર્પોરેશનમાં 155, અમદાવાદ કોર્પોરેશનમાં 154, વડોદરા કોર્પોરેશનમાં 68, સુરતમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 41, પાટણ-વડોદરામાં 40-40, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, રાજકોટમાં 23, સાબરકાંઠામાં 21, નર્મદામાં 20, અમરેલી-પંચમહાલમાં 19-19, જામનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ-ગાંધીનગરમાં 14-14 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ગઈકાલે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.