ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય? નીતિન પટેલે શું કરી મહત્વની જાહેરાત? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Apr 2020 09:06 AM (IST)
ગુજરાતમાં કોરોના વાયરસને પગલે આપેલા લોકડાઉનના કારણે સર્જાયેલ સ્થિતિને જોતાં ગુજરાત સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસને પગલે આપેલા લોકડાઉનના કારણે સર્જાયેલ સ્થિતિને જોતાં ગુજરાત સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે. ત્યારે ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ 10 દિવસ સુધી આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ ખેડૂતો, ખેડૂત આગેવાનો અને ધારાસભ્યોની રજુઆત બાદ ખેડૂતોને સિંચાઈ માટે 5 એપ્રિલ 2020 સુધી નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયને વધુ 10 દિવસ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેને અનુલક્ષીને ખેડૂતોની લાગણી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નર્મદા યોજનામાંથી અપાતું પિયતનું પાણી આગામી તારીખ 15 એપ્રિલ સુધી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે નર્મદા કમાન્ડ વિસ્તાર સહિત ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનશે. જેના લીધે ખેડૂતોને ઘાસચારો ઉગાડવા તથા અન્ય વાવેતર કરાયેલ પાક માટે આ પાણી ઉપયોગમાં આવશે.