અમદાવાદઃ રાજ્યના લોકોને કોરોના ટેસ્ટ માટે સરકારે વધુ એક છૂટ આપી છે. હવે રાજ્યના લોકો કોઈપણ ખાનગી લેબોરેટરીમાં જઈને એન્ટી બોડી ટેસ્ટ કરાવી શકશે. આ માટે સરકારે વધુમાં વધુ 500 રૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. અત્યાર સુધી માત્ર સરકારી લેબમાં જ એન્ટીબોડી ટેસ્ટ થતાં હતાં.


ખાનગી લેબોરેટરીમાં 430 રૂપિયામાં એલિસા એન્ટી બોડી ટેસ્ટ થઈ શકશે. જ્યારે આ ટેસ્ટ ઘર બેઠાં કરાવવો હશે તો તેના માટે 550 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ક્લિયા એન્ટી બોડી ટેસ્ટ લેબોરેટરીમાં જઈને કરાવવા પર 500 રૂપિયા આપવા પડશે. અને ઘર બેઠે આ ટેસ્ટ કરાવવો હશે તો તેના માટે 600 રૂપિયા ચૂકવવા પડશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 1311 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3531 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,485 એક્ટિવ કેસ છે, જ્યારે 1,26,657 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,399 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,46,673 પર પહોંચી છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,11,020 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,10,611 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 409 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.