અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્યમાં ફટાકડા ફોડવા મુદ્દે રાજ્ય સરકાર હજુ પણ મૂંઝવણભરી સ્થિતિમાં છે. હવા-અવાજના પ્રદુષણને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના બધાય રાજ્યોને નોટિસ આપી ખુલાસો પૂછયો હતો જેને લઈને ગઈકાલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઓનલાઈન સુનાવણી થઈ. હવે એનજીટીના આદેશનો અભ્યાસ કરી રાજ્ય સરકાર કોઈ નિર્ણય કરશે.


જોકે આ પહેલા રાજ્ય સરકાર તરફથી ગૃહવિભાગે આદેશ કરીને રાત્રીના 8થી 10 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા મંજૂરી આપી છે.

હવા-અવાજના પ્રદુષણને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ આપી ખુલાસો પૂછયો હતો. ગઈકાલે ઓનલાઈન સુનાવણીમાં રાજ્યોને એનજીટીએ દિશાનિર્દેશ આપ્યા છે કે પ્રદુષિત શહેરોમાં હવા-અવાજનું પ્રદુષણનો તાગ મેળવવામાં આવે.

ખુદ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આ વાતને સમર્થન આપતાં કહ્યુ હતુંકે, એનજીટીની નોટિસ બાદ રાજ્ય સરકારે અભ્યાસ શરૂ કર્યો છે. તમામ પાસાઓની ચર્ચા વિચારણાના અંતે આખરી નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે, આ પહેલા અનેક રાજ્યોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે જેમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ , કર્ણાટક , દિલ્હીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મોડી સાંજે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પણ કોઇ નિર્ણય લેવાયો ન હતો.

અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં હવા-અવાજના પ્રદુષણના આંક સાથેની વિગતો મેળવવામાં આવશે અને આખાય રિપોર્ટ સાથે એનજીટીમાં જવાબ રજૂ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દિલ્હીની સરખામણીમાં ગુજરાતમાં હવાનુ પ્રદુષણ ઓછુ છે તેવુ સાબિત કરી ફટાકડાં ફોડવાની છૂટ મળે તેની તરફેણમાં છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે.