અમદાવાદઃ સમગ્ર દેશમાં આજથી એટલે કે 5 ઓગસ્ટથી જીમ અને યોગા ઇન્સ્ટિટ્યૂટ ખુલવા જઈ રહ્યા છે. જેને લઈને સરકારે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગા ઈન્સ્ટિટ્યૂટ નહીં ખોલવામાં આવે. એટલે કે જે વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા નથી ત્યાં જ ખોલી શકાશે.


ઉપરાંત નવી ગાઇડલાઈન પ્રમાણે સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. ઉપરાંત 65 વર્ષથી વધુ વયની વ્યક્તિ, અન્ય બિમારી હોય તેવી વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જીમમાં એન્ટ્રી આપવામાં ન આવે.

લોકડાઉન બાદ આવતીકાલથી પહેલીવાર આ બન્ને સ્થળોને ખોલવામાં આવ્યા છે. યોગા ઇન્સ્ટિટ્યૂટ અને જિમ્નેશિયમ પર થર્મલ સ્ક્રિનિંગ તેમજ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવે તેવા આદેશ અપાયા છે.

જીમમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્ડિયો જેવી એક્સરસાઈઝમાં વાઈઝરનો ઉપયોગ કરી શકાય.

આ સાથે દરેક જિમ સંચાલકો અને મેમ્બરે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક વ્યક્તિનું પલ્સ ઓક્સિમિટરની મદદથી ઓક્સિજન ચકાસવામાં આવશે અને 95 ટકાથી ઓછું હોય તેમને જીમમાં પ્રવેશ આપવો નહીં કે કસરત કરાવવી નહીં. ઓક્સિજનનું આ પ્રમાણ આવે તો હોસ્પિટલમાં પણ જાણ કરવી.

સોશિયલ ડિસન્ટન્સ ફરજિયાત રાખવું રહેશે. યોગા ઈન્સ્ટિટયૂટમાં ચપ્પલ અને જુતાને બહાર કાઢ્યા બાદ જ પ્રવેશ આપવો. દરેકના નામ અને સરનામા સાથે એન્ટ્રી વખતે નોંધણી કરવાની રહેશે. કોઈ પણ વસ્તુનો કસરત માટે ઉપયોગ કરતાં પહેલા હાથને સેનિટાઈઝ કરવાના રહેશે. યોગાને ખુલ્લી જગ્યામાં જ કરવા તેવી સલાહ આપવામાં આવી છે.