તૌકતે વાવાઝોડું પૂર્વ રાજસ્થાન તરફ ફંટાયું છે અને ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. જો કે વાવાઝોડાની અસરના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ વીજળી અને વંટોળવાળું વાતાવરણ અને હળવો કે મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ આવતીકાલથી ફરી રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે. અને તાપામાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થશે. રાજ્યના તમામ વિસ્તારોમાં ઉનાળાની ઋતુ ફરી જોર પકડશે અને તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે. પાંચેક દિવસના સમયગાળામાં તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થશે અને વાતાવરણ શુષ્ક રહેશે.


તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનુ હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થાનિક વહીવટી પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે. સાથે જ ઝડપથી જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.


નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની ગઈકાલે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની ગઈકાલે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા.  પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.


મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.


પીએમ મોદીએ ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આંકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.