Gujarat Rain Update: ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમમાં નવા નીર આવ્યા છે. તો આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છેલ્લા 48 કલ્લાકમાં 2 મીટર વધી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 119.79 મીટર નોંધાઇ છે. ઉપરવાસ માંથી 46,957 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. હાલમાં RBPHના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે CHPHનું 1 યુનિટ ચાલુ છે. 4,697 હજાર ક્યુશેક પાણીની જાવક થઈ છે. નર્મદા ડેમના ઉપરવાસ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાથી સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.


 



વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી નર્મદા નદી પસાર થાય છે ત્યારે ઉપરવાસમાં અવિરત વરસાદ વરસવાને કારણે નર્મદા નદીના નીરમાં પાણીનો વધારો થયો છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ત્યારે શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાંથી મગરો શિનોર તાલુકાના નદી કિનારાના ખેતરોમાં ફરતા થયા છે. ત્યારે શિનોર તાલુકા નર્મદા કાંઠે આવેલ મોટા ફોફળિયા ગામની સિમના ખેતરો પાસે તળાવમાં મગર જોવા મળ્યા હતા. ખેડૂતે માછલી પકડવાની જાળમાં ફસાયેલો જોતા તરત શિનોર વનવિભાગને જાણ કરાતા વનવિભાગ વાઈલ્ડ લાઈફને સાથે રાખી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ માછલી પકડવાની જાળમાં ફસાયેલા મગરનું સફળ રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં સુરક્ષિત છોડવામા આવ્યો હતો. લોકોએ વનવિભાગની રેસ્ક્યુ ટીમની પ્રશંસા કરી હતી.


રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું
રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે. તાજા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણાના જોટાણા તાલુકામાં ૨ ઈંચ, જૂનાગઢના ભેંસાણ તાલુકામાં દોઢ ઈંચ, તાપીના વ્યારા તાલુકામાં ૧ ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચાર તાલુકાઓમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો ૫૬.૮૧ ટકા વરસાદ પડ્યો છે.


વડોદરાના કરજણ પંથકના સરકારના પસાર થતા ત્રણ પ્રોજેક્ટની અડીને આવેલ ખેડૂતોની જમીનનો ખેતીપાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અવિરત વરસાદ વરસતા વરસાદી પાણીનો નિકાલ ન થતા પ્રોજેકટની બાજુમાં આવેલ ખેડૂતોની 1000 થી 1200 એકર જેટલી જમીનના ખેતરો બેટમાં ફેરવાયા હતા. કરજણના હાડોદ, બોડકા, કણભા, કંબોલા, સુરવાડા, માંગરોલ, સાંપા, ખાંધા, પિંગડવાડા, માનપુર, અભરા, સહિતના કરજણ તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ થયા. ખેડૂતોની માંગ છે કે તંત્ર તાલુકા મુખ્ય અધિકારી ઇજારદારના ગામોના ખેડૂતોને સાથે રાખી કમિટી બનાવી સર્વે કરાવે તેમજ કાયમી માટે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે. બે માસ અગાઉ કરેલું વાવેતર નિષ્ફળ ગયું છે, તેમજ નવું બિયારણ પણ પાણી માં ગયું છે. ખેડૂતોની સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ છે. સરકાર ખેડૂતોનું દર્દ સાંભળે અને પાણીનો નિકાલ કરે, જેથી નવું વાવેતર કરી શકાય. 


3 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ


ડાંગ જિલ્લામાં છેલ્લા દિવસોમાં વરસેલા અવિરત વરસાદથી નદી, નાળા અને કોઝ વે જળમગ્ન બન્યા છે. હવે જિલ્લામાં વરસાદનું જોર ઓછું થતાં માર્ગો પરથી પાણી ઓસરવાની શરુઆત થઈ છે. જિલ્લાના 11 માર્ગો પરથી પાણી ઓસર્યા છે તો હજી 13 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. જેથી 20 ગામ પ્રભાવિત થયા છે. જિલ્લામાં જ્યાં જ્યાં કોઝ વે કે રોડ ઓવરટોપિંગ થયા છે ત્યાં સલામતીના ભાગરૂપે પોલીસ, ફોરેસ્ટ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. ડાંગ જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે વધઇ-સાપુતાર રોડ ઉપર ભેખ઼ડ ધસી પડવાથી તેને ખસેડવાની કામગીર શરૂ છે અને હાલ આ રસ્તો નાના વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યો છે.