ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ફરી લોકડાઉન લાદવામાં આવશે એવા દાવા સાથે ABP ASMITAના લોગો સાથેની એક પ્લેટ ફરતી કરાઈ છે. આ પ્લેટ તદ્દન ખોટી છે અને ABP ASMITAએ ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે એવા કોઈ સમાચાર આપ્યા નથી.


આણંદ જિલ્લાના સારસામાં સ્થાનિક લોકો અને વેપારીઓએ 24 સપ્ટેમ્બરથી સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. આ અંગેના સમાચાર ABP ASMITA દ્વારા અપાયા હતા. આ સમાચારની પ્લેટ સાથે ચેડાં કરીને સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે એ પ્રકારના તદ્દન ખોટા સમાચાર આપીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ સમાચાર ABP ASMITA એ આપ્યા નથી અને તેનાથી ગેરમાર્ગે નહીં દોરાવા ABP ASMITA ચેનલ લોકોને અપીલ કરે છે.

ગુજરાત સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હવે પછી ક્યાંય લોકડાઉન લાદવાનો સવાલ જ નથી. લોકો પોતપોતાના વિસ્તારોમાં સ્વયંભૂ રીતે લોકડાઉનનો નિર્ણય લે એ અલગ વાત છે પણ સરકાર આવો નિર્ણય નતી લેવાની. આ સ્પષ્ટતા છતાં કેટલાંક લોકોએ ગુજરાતમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે એ પ્રકારના મેસેજ વાયરલ કરીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.