અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સમય દરમિયાન પવનની ગતિ 62થી 87 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે. હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પાટણ અને મોરબીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આ સિવાય હવામાન વિભાગ દ્વારા રાજકોટ, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત અને નવસારીમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે. રાજ્યમાં 24થી 31 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 24 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ થશે અને 26મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે. 23 થી25 મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનુંઅનુમાન છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ ચક્રવાત સક્રિય થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં, ખાસ કરીને 23મે થી 31 મે સુધી ગુજરાતભરમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, જેના કારણે ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાશે.
અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10થી 12 ઈંચ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ વરસી શકે છે. મુંબઈ- સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે.