ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિમાં વરસાદ વરસશે. રાજ્યના હવામાન વિભાગના મતે 15 અને 16 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે.


15 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને આણંદમાં છૂટ્ટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે જ્યારે 16 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટ્ટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે.


રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે વાતાવરણ પણ સૂકું બની ગયું છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, નવરાત્રિમાં બે દિવસ વરસાદ વિઘ્ન બનશે. 15 અને 16 તારીખે વરસાદ પડી શકે છે.


આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. તે સિવાય ખેડૂતો પણ આ આગાહીના કારણે ચિંતિત થયા છે. હાલમાં ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોના મોઠામાં આવેલો કોળીયો છીનવાઇ જશે, જેથી ખેડૂતોને દશા કફોડી બનશે.


અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ઉપરાંત 19 ઓક્ટોબરે પણ મજબૂત એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેના કારણે પણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે.