ગાંધીનગરઃ ગુજરાતમાં લાંબા સમય સુધી બંધ રખાયા પછી ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરાયા છે ત્યારે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ મહત્વના નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી ધોરણ 12ના પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી પ્રવેશ મળશે પણ એ પછી મુદત નહીં લંબાવાય.


કોરોનાના કારણે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી આપવા માટે મોટા પ્રમાણમાં રજૂઆતો કરવામાં આવલી હતી. તેને ધ્યાનમાં રાખીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે કે, 31 જાન્યુઆરી, 2021 સુધી જીલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી સાથે ધોરણ 9થી ધોરણ 12ના પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા પણ કરી છે કે, 31 જાન્યુઆરી, 2021ની મુદત પતે ત્યાર બાદ કોઇ નવી તારીખ જાહેર નહી કરાય.