Gujarat Rain Update: ગુજરાત અને આસપાસના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારમે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. બપોરે 3 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.80 મીટર નોંધાઈ હતી.


 



તમને જણાવી દઈએ કે,  સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 39,101 ક્યુસેક છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 46,729 ક્યૂસેક નોંધાઈ છે.  રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં પાણીની જાવક  10,859 ક્યૂસેક છે.  કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક 5,397 ક્યુસેક છે. આમ પાણીની આવક વધતા છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થયો છે.


નિચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અપાઈ સૂચના


તો બીજી તરફ ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.


એટલું જ નહીં ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા પશુઓને પણ આ વિસ્તારમા ન લઈ જવા સૂચના આપી છે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે ડેમમાં પાણીની આવકમાં હજુ પણ વધારો થઈ શકે છે.


આગામી 24 કલાકમાં રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ


હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સુરત, નવસારી તાપી ડાંગ માં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40થી45 કિમિ પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ રાજ્ય પર કોઇ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદનું અનુમાન છે. તેમજ હવે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.