ગાંધીનગર: સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે 27મી સપ્ટેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ - ૧ થી ૪ ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાથી  ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે.


બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના ૫૧ ગામ અને લાખણી તાલુકાના ૩૭ ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે. જેમાં કાંકરેજ તાલુકાના ૮૦ ગામ, દિયોદર તાલુકાના ૨૩ ગામ, લાખણી તાલુકાના ૦૧ ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે. 




ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળ કુવા આધારીત, સ્વતંત્ર બોર આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવે છે. આ ગામના પાતાળ કુવાઓના પાણીનું સ્‍તર દિન-પ્રતિદિન નીચા ઉતરતા જતા હોઇ તથા આ વિસ્‍તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવાં કે ફ્લોરાઈડ, નાઇટ્રેટ તથા સેલીનીટીનું પ્રમાણ વધુ હોઇ પીવાના પાણીની સમસ્યા હતી. જ્યારે વર્ષો વર્ષ ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તાયુકત ન હોઇ, વિશ્વસનિય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી. 


બનાસકાંઠા જિલ્લાના ડીસા,લાખણી,કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ ૨૦૨૦માં તૈયાર કરવામાં આવી હતી. જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં હવે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ ૧૯૨ ગામની કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે. આ બંને યોજના માટે કુલ ૫ ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે.