હવે અઠવાડિયાના દર બુધવારે અને રવિવારે નહીં મળે કોરોના રસી. બુધવારે મમતા દિવસના કારણે અને રવિવારે રજા હોવાના કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રખાશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, દર બુધવારે મમતા દિવસ વર્ષોથી યોજાય છે. બાળકોને સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગનો આયોજિત કાર્યક્રમ છે. અત્યારસુધી 3 કરોડ કરતા વધુ ગુજરાતીઓને રસી અપાઈ ચૂકી છે. દર સપ્તાહે રવિવાર અને બુધવાર સિવાય કોવિડ વેકસીનેશન ચાલુ રહેશે.


વેકસીનનો 3 લાખ કરતા વધુ જથ્થો ઉપલબ્ધ અને 4 લાખ કરતા વધુ વેકસીનનો જથ્થો આવતીકાલે આવશે. હાલ કોવિડ કેસો ઓછા છે જેથી કોરોનાં વેકસીનેશન હળવું કર્યું હોવાનું નિતીન પટેલનું કહેવું છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે અને ગઈકાલે 41 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જોકે ગઈકાલની સરખામણીએ કેસમાં 10નો વધારો થયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.


રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ


ગુજરાતમાં હાલ 679 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 8 દર્દી વેન્ટિલેટર (Ventilator) પર છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી 5, વડોદરામાંથી 6,  રાજકોટ કોર્પોરેશનમાં 3, ભરૂચ, દેવભૂમિ દ્વારપકા, નવસારી, વલસાડમાં 2-2 તથા આણંદ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહેસાણા, વડોદરામાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.


ક્યાં ન નોંધાયો એક પણ કેસ


છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાનવગર, બોટાદ, છોટા ઉદેપુર, અમદાવાદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહીસારગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.


કેટલો છે રિકવરી રેટ


કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 71 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,13,583 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.69% છે.