ગાંધીનગર: વરસાદની રાહ જોતા ખેડૂતો માટે છે માઠા સમાચાર છે. રાજ્યમાં હજુ 4 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે  તેવી કોઈ સંભાવના નથી. 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં  છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજુ 48 ટકા વરસાદની ઘટ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી શકે છે.  જો કે, હવામાન વિભાગના મતે સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે તો પણ જે ઘટ છે તે પૂરી શકાશે નહીં. 


98 ડેમમાં માત્ર 25 ટકા પાણી 


ગુજરાત પર આવી પડી છે જળસંકટની આફત. ઓગષ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો રાજ્યમાં 65 ટકા ઓછા વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. અત્યાર સુધી 41.75% વરસાદ થયો છે. રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે.


22 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે તો સરેરાશથી 20 ઇંચ વધુ વરસાદ હોય એવા માત્ર 36 તાલુકા છે. કુલ 19 જિલ્લામાં વરસાદની ઘટ 50 ટકાથી વધુ છે.નર્મદા યોજનામાં વર્ષે રૂ. 7 હજાર કરોડનો ખર્ચ થાય છે છતાં લોકોને પાણીની સમસ્યાઓ સામે લડવું પડે એવી સ્થિતિ છે. બનાસકાંઠા જિલ્લાના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે.


રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 19 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. ગાંધીનગરમાં 67%, અરવલ્લીમાં 67%, સુરેન્દ્રનગરમાં 64%, વડોદરામાં-મહિસાગરમાં સરેરાશથી 57% વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 48.89% છે.


સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 23.86%, મધ્યમાં 42.40%, દક્ષિણમાં 63.48%, કચ્છમાં 21.09%, સૌરાષ્ટ્રમાં 40.30% પાણીનો સંગ્રહ છે. માત્ર 20 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 98 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે.