કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ચોમાસું આગળ વધશે તેમ સમગ્ર દેશમાં ચોમાસું જામતું જશે. કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડી રહ્યો છે. સેટેલાઇટ મારફત મળેલા ફોટામાં પણ જોવા મળ્યું કે કેરળના દરિયાકાંઠે અને તેની આજુબાજુના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર વાદળોનું પ્રમાણ વધ્યું છે.


ગુજરાતમાં પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે. તો સાથે સાથે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


કેરળ પહોંચ્યા બાદ હવે મોન્સૂન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આ વર્ષે 96 થી 104 ટકા વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. 


નોંધનીય છે કે, અમદાવાદમાં ગુરૂવારે મોડી રાત્રે અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે  છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. મણીનગર, ઈસનપુર, નારોલ, બોપલ, ઘુમા, સેલા, શીલજ, પ્રહ્લાદનગર, વેજલપુર, વાસણા, ઘોડાસર, એસજી હાઈવે, રાણીપ અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે પવન સાથે પણ વરસાદ વરસ્યો.


ગુરૂવારે જસદણના આંબરડી, ભડળી, બધાણી, સોમલપુર અને સોમ પીપળીયામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આંબરડીમાં તો થોડા સમયની અંદર જ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયુ. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ચાર ઈંચ વરસાદ વરસતા જસદણ તાલુકાના ચારથી પાંચ ગામના નાના મોટા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયા.


આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.