અમદાવાદઃ ગુજરાતના પ્રસિધ્ધ

  યાત્રાધામ અંબાજીમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો.


આ અંગેનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો. આ કેસમાં કોટેશ્વર મહાદેવ મંદિરનો ચુકાદો અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ (Shri Arasuri Ambaji Mata Devasthan Trust ) તરફી આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે 6 મહિનામાં કોટેષ્વર મહાદેવ મંદિરનો કબજો અંબાજી મંદિરને સોંપવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ પ્રમાણે  6 મહિનાનો સમયગાળો પૂરો થતાં આજે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટે કોટેશ્વર મહાદેવની જગ્યા નો કબજો લીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે મંદિરનો વહવીટ દેવસ્થાન ટ્રસ્ટ કરશે.


પ્રાચીન કોટેશ્વર મહાદેવ મંદિર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ મંદિર વચ્ચે લાંબા સમયથી કોટેશ્વર મહાદેવની જગ્યાનો કબજાનો વિવાદ સુપ્રીમ કોર્ટ મા ચાલતો હતો. આ મુદ્દે ગયા વરસના નવેમ્બર માસમાં આવ્યો હતો.  સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંબાજી મંદિર તરફી આવતાં 6 મહિનામાં કોટેશ્વર મંદિરનો કબજો અંબાજી મંદિરને સોંપવાનો હતો.


સુપ્રીમ કોર્ટે આપેલો 6 મહિનાનો સમયગાળો પૂરો થતાં આજ રોજ અંબાજી મંદિર વહીવટદાર એસ.જે. ચાવડાએ પોલીસ કાફલા સાથે આવીને કોટેશ્વરની જગ્યાનો કબજો લીધો હતો.  લાંબા ગાળાથી આ વિવાદ ચાલતો હતો અને અગાઉ પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારી કબજો લેવા ગયા હતા. એ વખતે કોટેશ્વર મહાદેવ મંદિરના મહંતના શિષ્યો દ્વારા હુમલો કરીને ગોળીબાર કરાયો હતો. આ જૂની ઘટનાને કારણે આજે પણ હુમલાની દહેશતને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરના વહીવટદારોએ પોલીસ પ્રોટેકશન હેઠળ આ કોટેશ્વરની જગ્યાનો કબજો લીધો હતો. આજે કોઈ વિવાદ થયો નહોતો અને સુમેળભર્યા વાતાવરણમાં કબજો અપાકાં મહંતને અત્યારે કોટેશ્વર મંદિરની પૂજા કરવાની સત્તા અપાઇ છે. જો કે કોટેશ્વર મહાદેવ મંદિરનો સમગ્ર વહીવટ હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પાસે રહેશે. આ ઉપરાંત આશ્રમનો વહીવટ પણ દેવસ્થાન ટ્રસ્ટ કરશે.