સુરેન્દ્રનગરઃ ટ્રેક્ટરથી નદી પાર કરવા જતા તણાયેલા સાતમાંથી છના મૃતદેહ મળ્યા
abpasmita.in | 11 Aug 2019 09:38 AM (IST)
નોંધનીય છે કે ધ્રાંગધ્રાના વાવડી ગામે 10 જણા ટ્રેક્ટરની મદદથી ફલકુ નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વાવડી ગામે ટ્રેક્ટરની મદદથી નદી પાર કરવાનો પ્રયાસ કરી રહેલા 10 લોકોમાંથી સાત લોકો તણાયા હતા અને તેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગુમ સાત લોકોમાંથી છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ પણ એક વ્યક્તિ લાપતા છે. નોંધનીય છે કે ધ્રાંગધ્રાના વાવડી ગામે 10 જણા ટ્રેક્ટરની મદદથી ફલકુ નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર નદીના ધસમસતા પ્રવાહમાં તણાતા તમામ લોકો નદીમાં તણાવા લાગ્યા હતા. જેમાંથી ત્રણ લોકોને આર્મી અને એનડીઆરએફની ટીમે બચાવી લીધા હતા. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. આર્મીના જવાનોએ જીવને જોખમમાં મુકીને નદીના ધસમસતા પ્રવાહમાંથી ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે સાત વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાતા તેમને શોધવા આર્મી, એનડીઆરએફની ટીમો મદદ માટે પહોંચી હતી જિલ્લા કલેકટર કે. રાજેશ, આઈ. કે. જાડેજા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રેકટર સાથે નદીમાં તણાયેલા લોકોમાં શંખેશ્વર તાલુકાના મજૂરો અને વાવડી ગામના રબારી સમાજના લોકો હતા.