રાજ્યમાં શાળા-કોલેજો બંધ પરંતુ ટ્યુશન-કોચિંગ ક્લાસિસ ખોલવા સરકારે છૂટ આપી છે. કોરોના સંક્રમણ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. જેમાં હવે ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ માટે રાજ્યભરમાં ચાલતા કોચિંગ ક્લાસિસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે.


રાજ્ય સરકારે બીજી કઈ છૂટ આપી


રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. જ્યારે 10 શહેર ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.


રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાતના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. તો ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય કે વાણિજ્યિક અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.


તો રેસ્ટોરાં રાત્રિના 9 કલાક સુધી બેસવાની મહત્તમ 60% ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે. જ્યારે હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે. તો લગ્ન પ્રસંગમાં હવે મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. તો અંતિમક્રિયાની વિધિમાં મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે.


જ્યારે રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ અને બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.


પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75 ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)


પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં  રમતગમત  ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)


સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)