હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદને પગલા નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં જ્યારે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. નદી અને નાળા ઓવરફ્લો હોય તેમ છતાં પણ લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને અંદરથી પસાર થવા જતાં હોય છે જોકે આવી સ્થિતિમાં આવું સાહસ ન કરવું જોઈએ. ત્યારે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ આવેલા પૂરમાં 12 લોકો તણાયા હોવાનું સામે આવ્યું છે જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 8 લોકો લાપતાં છે.


સુરતના બલેશ્વર ગામે કેડસમા પાણીમાં મહિલાનો જનાજો કાઢવાની ફરજ પડી હતી. આ બાજુ વલ્લભીપુરની નસીતપુરની કેરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં 6 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

આ સાથે જ દક્ષિણ ગુજરાતના બીલીમોરા નજીક પોંસરી ગામે કાવેરી નદીના સંગમ પર એક હોડીમાં જઈ રહેલા 5 લોકો હોડી પલટી ખાવાથી તણાયા હતાં. તેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યા હતાં. જોકે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે હજુ એક લાપત્તા હોવાનું સામે આવ્યું છે.

રાણાવાવ નજીક મોકરના રણમાં પાણી ભરાતા 4 યુવાનો તણાઈ ગયા હતા જેની તસવીરો સામે આવી હતી. એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવાન બચી ગયો છે જ્યારે બાકીના બેની એનડીઆરએફની ટીમ શોધખોળ કરવામાં આવી રહી છે.

દ્વારકાની હડમતિયા નદીમાં ઘોડાપૂર આવતા 3 યુવાનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન તણાઈ ગયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના સર્જાયા બાદ તાત્કાલિક એનડીઆરએફની ટીમ આવી પહોંચતાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા હતા.