કચ્છનાં રવાપર નજીક કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે 2 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. અકસ્માત થતાં જ ઘટનાસ્થળો લોકોના ટોળાં વળ્યાં હતાં જ્યારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.


પોલીસ સુત્રો પ્રમાણે, GMDC ખાણમાં કામ કામગીરી કરતી RPL કંપનીના કર્મચારીઓની કાર અને માંડવીના સલાયાના દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં ત્રણેક લોકો અને તૂફાન જીપમાં 12 લોકો સવાર હતાં.

સલાયાના લોકો દયાપર નજીક આવેલી કોરાશરીફની દરગાહે માથું ટેકવવા ગયા હતા. કારમાં સવાર બે કર્મચારીઓના સ્થળ પર મોત નિપજ્યાં હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

તૂફાન જીપ અને કારના અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર એક કિમી ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.