આણંદઃ જિલ્લાના ઉમરેઠમાં કોરોનાના વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. ઉમરેઠમાં ચિંતાજનક રીતે કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઉમરેઠના વ્હોરવાડ લોખંડ બજાર વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધ અને 73 વર્ષની વૃદ્ધા અને 45 વર્ષની મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉમરેઠમાં કુલ કોરોનાના 8 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે.


આણંદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 33 કેસો નોંધાયા છે. જ્યારે બે લોકોના મોત થયા છે. એટલું જ નહીં, 9 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે પાટણ જિલ્લામાં પણ વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના પોઝિટિવ રિપોર્ટ આવતાં આંકડો 17 સુધી પહોંચ્યો છે. સિદ્ધપુરના ઉમરું અને સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગર જિલ્લામાં આ નવા કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36એ પહોંચી ગઈ છે. જ્યારે જિલ્લામાં કુલ 5 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ ભાગવનગરના રેલવે સ્ટેશન રોડ મતવા ચોકમાં રહેતા 60 વર્ષીય મહિલાને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ ગીતા ચોક બોરડીગેટ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.