ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે  વધુ બે કેસ કોરોનાના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 82એ પહોંચી ગઈ છે.


મળતી માહિતી મુજબ ગોધરામાં સાપાં રોડ વિસ્તારના એક 28 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોદીની વાડી વિસ્તારમાં પણ એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવઆવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 82એ પહોંચી ગઈ છે.

પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 06 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે 46 લોકો સાજા થઈને ઘરે ગયા છે. જિલ્લામાં અત્યારે હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 30 છે.

25 મેના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 22નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 25, ગાંધીનગર 3, આણંદ 1 અને સુરતમાં 1 મોત થયું છે.

અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 109 દર્દી વેન્ટિલેટર પર છે અને 6835 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6636 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 186361 ટેસ્ટ થયા જેમાંથી 14468 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.