ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણની 14મી નેશનલ કોન્ફરન્સના સમાપન સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી જાહેરાત કરી છે. મનસુખ માંડવીયાએ કહ્યું કે વિશ્વમાં 2030 સુધીમાં TB દૂર કરવાનું લક્ષ્ય છે, પણ ભારતમાં 2025 સુધીમાં જ TB દૂર થશે. તેમણે કહ્યું કે દેશના તમામ રાજ્યો મે મહિનામાં નિક્ષય પોર્ટલ પર ટીબીના તમામ દર્દીઓની માહિતી મૂકશે.સમાજને વિવિધ જવાબદારીઓ સોંપી ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવશે.


ટીબીના કેસનો દર ઘટીને 34 ટકા થઈ ગયો
આ અગાઉ ગત મહિને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં કહ્યું હતું  કે ટીબીના કેસનો દર ઘટીને લગભગ 34 ટકા થઈ ગયો છે. 2015માં એક લાખ લોકો દીઠ ટીબીના દર્દીઓની સંખ્યા 217 હતી, જ્યારે 2020માં તે ઘટીને 142 થઈ ગઈ છે. 2015માં એક લાખ લોકો દીઠ મૃત્યુદર 32 હતો, જે 2020માં ઘટીને 15 થયો છે.


 WHOના રિપોર્ટ પર મનસુખ માંડવિયાનું મોટું નિવેદન
કોરોનાથી થતા મૃત્યુને લઈને WHOના રિપોર્ટ પર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ત્રણ દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિર દરમિયાન કહ્યું કે અમે એક ઠરાવ પસાર કર્યો છે કે અમે કોવિડ મૃત્યુ અંગે WHOના અનુમાન પર વિશ્વાસ કરતા નથી. 1969 થી અમે કાયદેસર રીતે જન્મ અને મૃત્યુની નોંધણી કરી રહ્યા છીએ. દેશમાં આજે 99.99 ટકા મૃત્યુ નોંધાયા છે.


કેવડિયા ખાતે આયોજિત સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર-CCHFWની 14મી કોન્ફરન્સમાં ભાગ લેનારા વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ ભારતમાં કોવિડ-સંબંધિત 47 લાખ મૃત્યુના અંદાજ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ટીકા કરી છે અને કહ્યું છે કે તે પાયાવિહોણું છે. તેનો ઈરાદો દેશની છબી ખરાબ કરવાનો છે. તેમણે કહ્યું કે ભારતમાં મૃત્યુ નોંધવા માટે એક મજબૂત, કાર્યક્ષમ અને વ્યાપક મિકેનિઝમ છે અને કોવિડના કારણે થયેલા મૃત્યુને  તમામ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પારદર્શિતા સાથે વ્યવસ્થિત રીતે નોંધવામાં આવ્યા છે.