Unseasonal Rain : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક જિલ્લાઓમાં માવઠાથી ખેડૂતોને વ્યાપકપણે નુકસાન થયાની આશંકા છે. જીરૂ, વરિયાળી, રાયડો, ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા.


ચણા, ધાણા, લીલા શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન જશે. ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર આપવાની પણ માંગ કરી હતી.


સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. માવઠાથી સૌરાષ્ટ્રમાં કૃષિ પાકને નુકસાન થયું છે. વીજળી પડતા દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત થયા હતા. વીજળી પડતા નવ લોકો દાઝતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કપાસ, ગુવાર, શેરડી, નાગલી, સ્ટ્રોબેરીના પાકને ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાની ઘટનામાં ચારના મોત થયા છે. 30થી વધુ પશુઓના મોત થયા છે.                          


ઉચ્છલ તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.  કુકરમુંડામાં ચાર ઈંચ, નિઝરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉચ્છલ, સોનગઢ, વ્યારામાં સવા સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.  માવઠા વચ્ચે રાજ્યમાં વીજળી કહેર બનીને ત્રાટકી હતી. રાજ્યમાં વીજળી પડવાની 18 લોકોના મોત થયા હતા. કેટલાક જિલ્લામાં વીજળી પડતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વીજળી પડવાથી ઉત્તર-મધ્ય ગુજરાતમાં ચાર- ચાર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ-ત્રણના મોત થયા હતા. અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ એક-એક વ્યક્તિનું મોત થયું છે. દાહોદના વાંદરમાં વીજળી પડતા એકનું મોત થયું છે. ગઈકાલ સાંજે વૃક્ષ નીચે ઉભેલ વ્યક્તિ પર વીજળી પડી હતી. વીજળી પડતા બાબુભાઈ બારીયાનું ઘટનાસ્થળે મોત થયું હતું.