તલાલાઃ ગુજરાતમાં આ વરસે મેઘરાજા વિદાય થવાનું જાણે કે નામ જ નથી લઈ રહ્યા. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના પગલે આજે તાપી, મહિસાગર બાદ ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.




તાલાળા ગીર વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા પડવાથી જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને થ્રેશર દ્વારા મગફળી કાઢવાનું કામ ચાલુ હતું તેવા સમયે કમોસમી વરસાદ થતાં ગીરના ખેડૂતોનો પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. વરસાદના કારણે પાક પલળી ગયો હતો, ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.



દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રવિવાર-સોમવાર દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે. આ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.