Uttarayan 2024 Live Updates : દાહોદમાં વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારમાં શોકનો માહોલ

Uttarayan 2024 Live Updates : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પતંગબાજો વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા છે

gujarati.abplive.com Last Updated: 14 Jan 2024 03:42 PM
વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત

દાહોદમાં મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે. અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે. દાહોદ જીલ્લાના કથોલીયા ગામે આ દુર્ઘટના બની હતી. દસ વર્ષેનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા આસપાસના લોકો અને પરિજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને પીએમ માટે  લઈ જવાયો હતો. ઘટનાને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ છવાયો છે.

વલસાડ, મહીસાગર અને વડોદરામાં ત્રણના મોત થયા

ઉત્તરાયણ પર્વ પર રાજ્યમાં અત્યાર સુધીમાં 1 હજાર 426 ઈમરજન્સી કોલ આવ્યા હતા. વલસાડ, મહીસાગર અને વડોદરામાં ત્રણના મોત થયા હતા. 

ભાવનગરમાં પતંગબાજી દરમિયાન બે લોકોને કરંટ લાગ્યો

ભાવનગરમાં પતંગબાજી દરમિયાન બે લોકોને કરંટ લાગ્યો હતો. શહેરના ગણેશ નગર ફિલ્ટરની ટાંકી પાસે સતિષ અને સુનિલ નામના બે યુવાનો વીજ લાઇનના સંપર્કમાં આવતા તેમને કરંટ લાગ્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ બે યુવાનો માટે પતંગની મજા સજામાં ફેરવાઇ હતી.

ગળામાં દોરી ફસાવાના કારણે બાળકનું મોત

ઉત્તરાયણના પર્વ પર પતંગની દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. મહીસાગર જિલ્લામાં ગળામાં દોરી ફસાવાના કારણે બાળકનું મોત થયું હતું. ખારોલ ગામે બાળકના ગળામાં દોરી ફસાતા ગળું કપાયું હતુ. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. 

વડોદરામાં પતંગના દોરાએ વકીલનો ભોગ લીધો હતો

વડોદરામાં પતંગના દોરાએ વકીલનો ભોગ લીધો હતો. વાઘોડિયાના આમોદરના રસિક પટેલનું મોત થયું હતું. 67 વર્ષીય વકીલ રસિક પટેલ બાઇક પર જઇ રહ્યા હતા અચાનક પગમાં દોરો ફસાઈ જતા પટકાયા હતા. માથામાં ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું.

પતંગ લૂંટી રહેલા બાળકને કારે અડફેટે લીધો હતો.

જેતપુરના નવાગઢ વિસ્તારમાં પતંગ લૂંટી રહેલા બાળકને કારે અડફેટે લીધો હતો. નવાગઢનાં નેશનલ હાઇવે પર પૂરઝડપે જતી કારે બાળકને અડફેટે લીધો હતો. આઠ વર્ષીય આલોક કપાયેલો પતંગ લૂંટવા જઇ રહ્યો હતો ત્યારે કારની અડફેટે આવ્યો હતો. બાળકને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના પગે ગંભીર ઇજા પહોંચી હતી.

ઉતરાયણ પર્વની સવારે 10 વાગ્યા સુધીમાં જ 108 સેવાને 1077 ઇમરજન્સી કોલ આવ્યા

મકરસંક્રાંતિના પર્વના રંગમાં ભંગ પાડતી પણ અનેક ઘટનાના અહેવાલ સામે આવ્યાં છે. ઉતરાયણ પર્વની સવારે 10 વાગ્યા સુધીમાં જ 108 સેવાને 1077 ઇમરજન્સી કોલ આવ્યા હતા. ગયા વર્ષે 10 વાગ્યા સુધીમાં  936 કોલ મળ્યા હતા.ચાલુ વર્ષે 10 વાગ્યા સુધીમાં 114 જેટલા ઈમરજન્સી કોલની સંખ્યા વધી છે

ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમા પતંગ ચગાવ્યા

ગૃહમંત્રી અમિત શાહ વેજલપુરમાં સ્વાતિ એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવ્યો હતો. અહી અમિત શાહનું સ્વાગત કરાયું હતું. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. અમિત શાહે મંદિરમાં ગૌદાન કર્યું હતું. મંદિરમાં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

રાજકોટમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કંટ્રોલરૂમ ઉભો કરાયો


આજે મકર સંક્રાંતિ પર કરુણા ફાઉન્ડેશન - એનિમલ હેલ્પલાઇન દ્વારા  કંટ્રોલરૂમ ઉભો કરાર્યો છે. ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કંટ્રોલરૂમ ઉભો કરાયો હતો. પક્ષીઓની સારવાર માટે ડોક્ટરો તથા સ્વયંસેવકો ખડેપગે રહેશે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે જિલ્લા તંત્રના સહયોગથી કંટ્રોલરૂમ ઉભો કરાયો છે.  રાજકોટ શહેરમાં કુલ 9 કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. 

ચાઈનીઝ દોરીથી બે વર્ષનો બાળક

જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી બે વર્ષના બાળકને પગના ભાગે ઈજા થઇ હતી. જયદેવ નામના બે વર્ષના બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણની ઉજવણી કરી

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. વિજય રૂપાણીએ પરિવાર સાથે પતંગ ચગાવ્યો હતો. રૂપાણીએ કહ્યું કે રાજકોટમાં ભાજપનો પતંગ આસમાને છે. દેશભરમાં PM મોદીનો પવન ફુંકાઈ રહ્યો છે. કૉંગ્રેસનું બધુ જ ગોથા ખાઈ રહ્યું છે. કૉંગ્રેસ પાસે ન તો પતંગ છે, ન તો દોરી છે. કૉંગ્રેસથી લોકો થાકી ગયા છેઃ કૉંગ્રેસ પોતાના લોકોને સાચવી શકી નથી. કૉંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો. સૌરાષ્ટ્રની તમામ લોકસભા બેઠક ભાજપ જીતશે

વલસાડમાં પતંગની દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો

વલસાડમાં પતંગની દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. વલસાડ નજીક હાઇવે પર સોનવાડાના પુલ પર ઘટના બની હતી. બાઈક પરથી પસાર થતા યુવકના ગળે દોરી ફસાઈ હતી. વિહારભાઈ પટેલ નામના યુવકને ચહેરા પર ગંભીર ઇજા પહોંચી હતી.

જેતપુરના નવાગઢમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ  કપાયું

જેતપુરના નવાગઢમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ  કપાયું  છે. રબારીકાથી નવાગઢ જતા સમયે યુવકનું ગળુ  કપાયુ હતુ. રહીમ ઈબ્રાહિમ સવાણને સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. 

રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસા ખાતે પતંગ ચગાવ્યા

અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસા ખાતે પતંગ ચગાવ્યા હતા. તેમણે કહ્યું કે 2024 માં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે. દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી છે. તેમણે લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. 

બ્રેકગ્રાઉન્ડ

Makar Sankranti 2024: પતંગરસિકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર  14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.


આસ્થા અને ઉલ્લાસ સમાન ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પવનદેવ મહેરબાન રહેશે. દિવસ દરમિયાન 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા રહી શકે છે. જો કે બપોર બાદ પગનની ગતિ ધીમી પડે તો પતંગબાજોને ઠુમકા લગાવવા પડે તેવી પણ સંભાવના છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પતંગબાજો વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા છે. આખો દિવસ પતંગપ્રેમીઓ અગાશી, ધાબા કે છાપરા પર જ વિતાવશે. આબાલવૃદ્ધ સૌ કોઈ સવારથી મોડી સાંજ સુધી અવનવી અને રંગબેરંગી પતંગના આકાશી યુદ્ધમાં જ મગ્ન બન્યા રહેશે.


અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાંતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અવસરે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે, પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.