Vidyapeeth Controversy: અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ ફરી એકવાર વિવાદોમાં આવી છે, આ વખતે વિદ્યાર્થીઓએ સત્તાધિશો સામે જોરદાર વિરોધ શરૂ કર્યો છે. વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ અને સત્તાધિશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનના બનાવો બની રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં મહત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનીએ ગાંધીગીરી કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થીઓએ સત્તાધિશો સામે બાંયો ચઢાવી છે, વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીઓને સર્વ ધર્મ પ્રાર્થના અને સ્ટેજ પર બોલવા દેવામાં આવતા નથી, તેમના આ અધિકારને છીનવાઇ રહ્યો છે. આ કારણે હવે વિદ્યાપીઠના સત્તાધીશો વિરદ્ધ વિદ્યાર્થીઓએ એક મોટું આંદોલન શરૂ કરી દીધું છે. આ વિરોધના ભાગ રૂપે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ કાળીપટ્ટી ધારણ કરીને, પ્રાર્થના કરી રેંટીઓ કાંત્યો છે. વિદ્યાર્થીઓ ઉપાસના હૉલની જગ્યાએ કેમ્પસમાં રસ્તા પર બેસી કરી પ્રાર્થના કરીને વિરોધ નોંધાવી રહ્યાં છે. 




ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓનો હોબાળો


ફરી એકવાર વિદ્યાર્થીઓનું ભણતર વધુ મોંઘુ થઇ રહ્યું છે, આનું ઉદાહરણ હવે સૌથી સસ્તી ગણાતી ગુજરાત વિદ્યાપીઠમાંથી સામે આવ્યુ છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ ફી વધારાને લઇને આક્રોશમાં છે, અને કુલનાયક અને કુલ સચિવને ઇમેઇલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એટલુ જ નહીં આ મુદ્દે વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા પર એક અભિયાન પણ છેડી દીધુ છે. માહિતી પ્રમાણે, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ફી વધારાને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફી વધારાના મુદ્દાને લઇને વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અને કુલસચિવને સીધા ઇમેઇલ કર્યા છે. આ ઇમેઇલમાં ફી વધારો પાછો ખેંચવા માટે વિનંતી કરવામાં આવી છે. આ ફી વધારા બાદ હવે ગરીબ અને આદિવાસી બાળકો વિદ્યાપીઠમાં અભ્યાસ નહીં કરી શકે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ફી માટે નહીં પણ છેવાડાના બાળકોને શિક્ષણ મળે તે માટે કરી હતી પરંતુ નવા મેનેજમેન્ટને માત્ર ફીમાં જ રસ હોય એવુ દેખાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠનો ફી વધારાનો મુદ્દો હવે સોશ્યલ મીડિયામાં એક અભિયાન થકી છેડ્યો છે.