કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. આણંદના પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3 દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાતા ગામ લોકોએ સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.


પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3000 જેટલી વસ્તીનો વસવાટ છે. મહિલા મંડળ કોરોના લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે એક દિવસીય ધાર્મિક યાત્રા કરી પરત ફર્યા હતા અને ત્યારબાદ બીજા સપ્તાહે ગામના યુવાનો પણ ધાર્મિક યાત્રાએ ગયા હતા.

તે બાદ ગામમાં તાવ ,શરદી અને ઉધરસ ના કેસોમાં વધારો થયો કેટલાક નાગરિકોએ કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ આવતા ગામમાં ખળભળાટ મચી ગયો. ગામમાં કોરોના સંક્રમિત કેસોની સ્થિતિ વધુ વિકરાળ બનતા ગામ ને સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે 8 ટીમો કામે લગાડી છે. 1 ટીમ ટેસ્ટિંગ કરે છે જ્યારે બીજી 7 ટીમો સર્વેલન્સની કામગીરીમાં છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 263 નવા કેસ નોંધાયા હતા જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.71 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મૃત્યુ થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4403 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 2,66,297 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે.

રાજ્યમાં હાલ 1696 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1665 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,198 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.