ગીર સોમનાથ: સમગ્ર રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો રાજ્યમાં ઘણી જગ્યાએ પીવાના અને ખેતીના પાક માટે પાણીની સમસ્યા પણ સામે આવી રહી છે. આ સમસ્યા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગીર જંગલમાં આવેલા સીંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. જેથી ભર ઉનાળે શિંગોડા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.


જામવાળા અને કોડીનારમાં વહેતી સીંગોડા નદી જે લાંબા સમયથી પાણી વિના ખાલી ખમ હતી અને આજે તેમાં નવા નીર આવતા લોકો આ નજારો જોવા મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. સીંગોડા નદી પર આવેલા કોડીનાર બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.


આગ ઓકતા તાપ અને ગરમી વચ્ચે હવે ખેડૂતોના કુવાઓ જવાબ આપી રહ્યા છે. કુવાના પાણી તળિયા જાટક થતા ખેડૂતો પોતાના પાકને બચાવવા સીંગોડા ડેમ તરફ મીટ માંડી બેઠા હતા કે ડેમનું પાણી જો છોડવામાં આવે તો તેમનો મુરજાતા પાકને નવું જીવન મળે. આખરે ખેડૂતોની માંગને ધ્યાને રાખી સીંગોડા ડેમના દરવાજા ખેડૂતો માટે ખોલી દેવાયા છે જેને લઈને કોડીનારની સૂકી બનેલી સીંગોડા નદી ફરી એક વખત વહેતી થઈ છે. સામાન્ય રિતે ચોમાસામાં નદી વહેતી જોવા મળે છે પરંતુ આ વર્ષ ઉનાળામાં ડેમમાંથી પાણી છોડતા ભર ઉનાળે આ નદી વહેતી થઈ છે. જેનો સીધો જ લાભ 20થી વધુ ગામોના ખેડુતોને થશે, એટલું નહીં ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે.


ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો સતત નવી સપાટી વટાવી રહ્યો છે. અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં બે દિવસ યલો એલર્ટ રહેશે. તો ગુરૂવારે રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 46 ડિગ્રી સાથે ગુરૂવારે સુરેંદ્રનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર બન્યું હતુ. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 45.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.


અમદાવાદમાં સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદમાં હજુ આગામી રવિવાર સુધી ગરમીનો પારો 45 ડિગ્રીને આસપાસ રહે તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે આજે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.