Gujarat: રાજ્યમાં ટૂંકા વસ્ત્રો પહેરીને વધુ એક મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  મંદિર પ્રશાસનના આ નિર્ણયના કારણે હવે પુરુષ હોય કે સ્ત્રી કોઈપણ વ્યક્તિ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી.




આ મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવા મંદિર પ્રશાસને લોકોને અપીલ કરી છે.


ગયા મહિને પણ ડાકોર રણછોડરાયજી મંદિર અને  દ્વારકા મંદિર દ્ધારા ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવાની ભક્તોને અપીલ કરવામાં આવી હતી. ડાકોરના રણછોડરાયજી મંદિર દ્ધારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્ધારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે. જેમાં લખવામાં આવ્યું છે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.


તે સિવાય જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે.


ઉપરાંત ગયા મહિને આ યાદીમાં હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ થયું હતુ જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની અંદર ચીંથરેહાલ અને ટૂંકા કપડા પહેરવાથી મંદિરની ગરિમા ખરાબ થાય છે. ભક્તોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ