બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે.ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસતા વરસાદના કારણે 11 ડેમો છલકાયા હતા. અન્ય 20 ડેમો 80થી 99 ટકા ભરાઈ જતા એલર્ટ પર છે. ઉપરાંત 11 ડેમોમાં 70 ટકાથી વધુ સંગ્રહ હોવાથી વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.  28મી તારીખે શનિવારે બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 29મી તારીખે બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં 10 દિવસમાં જ સીઝનનો 25 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 26.27 તો મધ્ય ગુજરાતમાં 26.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો કુલ 25.24 ટકા તો કચ્છમાં 21.65 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અષાઢ પહેલા જ સૌરાષ્ટ્રના 11 ડેમો છલકાયા હતા. 20 ડેમો 80થી 90 ટકા ભરાઈ જતા એલર્ટ પર મુકાયા હતા. છ ડેમોમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા હાઈ એલર્ટ પર મુકાયા હતા. 

અમદાવાદ શહેરમાં ગઇકાલે સાંજે બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નરોડા, મેમકો, કોતરપુર સૈજપુર, એરપોર્ટ રોડ , સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડીયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વસ્ત્રાલના અબજીબાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.