હાલ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે મધ્ય પ્રેદશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે વધુ પ્રમાણમાં પાણી છોડાતાં નદીનું પાણી ભરૂચ શહેરમાં ઘૂસવા લાગ્યું હતું જેને કારણે શહેરીજનોમાં ફફટાડ જોવા મળ્યો હતો. જેને લઈ કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો હતો.


નર્મદા ડેમને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 10 લાખ 15 હજાર 569 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની જળ સપાટી 132.51 મીટર પહોંચી ગઈ છે. પાણીની સતત આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ 54 હજાર ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા, ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રીવર બેડ પાવર હાઉસમાં છ યુનિટ કાર્યરત થતાં 1200 મેગાવોટ વિજળી ઉત્પન થઈ રહી છે તો નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી હતી અને નર્મદા કિનારાના ભરૂચના 12, અંકલેશ્વરના 14 અને ઝઘડિયાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે.

નર્મદા નદીના પાણી ભરૂચ શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. ભરૂચના નીચાણવાળા ફુરજા વિસ્તારમાં નર્મદાના પાણી ઘુસી રહ્યા છે. જેને કારણે ભરૂચવાસીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2540 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.