અમદાવાદઃ કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો શરૂ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ થશે કે નહીં તે અંગે અવઢવ છે. વિજય રૂપાણી સરકાર આ અવઢવ દૂર કરવા આજે એટલે કે ગુરૂવાર સાંજ સુધીમાં રીપોર્ટ મેળવીને શુક્રવારે જાહેરાત કરશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સ્ટાન્ડર્ટ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી)નો અભ્યાસ કરી નિર્ણય કરી નિર્ણય લેશે.


રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમણેઅધિકારીઓને કેન્દ્ર સરકારની એસઓપી-ગાઈડલાઈનનો વિગતવાર અભ્યાસ કરી ગુરૂવાર સાંજ સુધી રિપોર્ટ આપવા જણાવ્યુ છે. આ રીપોર્ટનો અભ્યાસ બાદ સરકાર શુક્રવારે સ્કૂલો શરૃ કરવા અંગે નિર્ણય જાહેર કરશે.

રૂપાણી સરકાર કેન્દ્રના રસ્તે ચાલીને કેન્દ્ર સરકારની એસપીઓ સ્કૂલો શરૂ કરવા માટે અમલમાં મૂકેશે એવું મનાય છે.રાજ્ય સરકાર સ્કૂલો શરૂ કરવાની મંજૂરી માટે તૈયાર છે પણ મોટા ભાગના સંચાલકો સ્કૂલો શરૂ કરવા તૈયાર નથી. મોટા ભાગના વાલીઓ બાળકોને હજુ સ્કૂલે મોકલવા રાજી નથી એ જોતાં સરકાર સ્કૂલો ખોલવાને મંજૂરી આપે તો પણ સ્કૂલો ખૂલવા મુદ્દે અવઢવ છે.

કેન્દ્રની જાહેરાત પ્રમાણે વાલીઓ પોતાની સંમંતિથી બાળકોને માત્ર શિક્ષકોના માર્ગદર્શન માટે સ્કૂલે મોકલી શકશે.વિદ્યાર્થીઓની હાલ કોઈ પણ જાતની હાજરી ધ્યાને નહી લેવાય.